આ તે કેવી ટુર્નામેન્ટન કે જેમાં દર્શકોને એન્ટ્રી નહી.. પાકિસ્તાન સુપર લીગ દર્શકો વગર રમાશે

By: Nation Gujarat Team
23 Mar, 2026

પાકિસ્તાને ખર્ચ ઘટાડવાના અભિયાન હેઠળ હવે પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026માં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં. આ સાથે જ ટુર્નામેન્ટની તમામ મેચો માત્ર લાહોર અને કરાચીમાં રમાશે.

26 માર્ચથી શરૂ થનારી લીગની ઓપનિંગ સેરેમની પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ જણાવ્યું કે આ અંગે વડાપ્રધાન અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. નકવીએ કહ્યું,

QuoteImage

સરકારે વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની અવરજવર મર્યાદિત રાખવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં, સ્ટેડિયમમાં હજારો દર્શકોને લાવવા યોગ્ય નહોતું, તેથી મેચ ખાલી સ્ટેડિયમમાં કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

QuoteImage

ઈરાન યુદ્ધના કારણે સમગ્ર એશિયામાં ઓઇલ સંકટ ઘેરું બન્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ બમણા થવાથી પાકિસ્તાન સરકારને પેટ્રોલ-ડીઝલ મોંઘું પડી રહ્યું છે, પરંતુ સરકારે તે મુજબ ભાવ વધાર્યા નથી, જેના કારણે વધેલી કિંમતોની અસર સરકારી તિજોરી પર પડી રહી છે.

પહેલા 6 સ્થળો નક્કી થયા હતા

પહેલા PSLની મેચો 6 શહેરોમાં યોજાવાની હતી, પરંતુ હવે મુસાફરી અને સંસાધનો ઘટાડવા માટે તેને માત્ર બે શહેરો સુધી મર્યાદિત કરવામાં આવી છે.

ફૈસલાબાદ, પેશાવર અને રાવલપિંડી સહિતના અન્ય શહેરોમાં યોજાનારી મેચો રદ કરવામાં આવી છે. નકવીએ પેશાવરના લોકોની માફી પણ માંગી અને ભવિષ્યમાં ત્યાં મેચો યોજવાનો ભરોસો આપ્યો.

ફ્રેન્ચાઇઝીના નુકસાનની ભરપાઈ PCB કરશે

દર્શકો વિના મેચ યોજાવાથી ફ્રેન્ચાઇઝીને થનારા નુકસાનની ભરપાઈ PCB કરશે. નકવીએ કહ્યું કે ટિકિટમાંથી થતી કમાણી ફ્રેન્ચાઇઝી માટે મહત્વપૂર્ણ હોય છે, તેથી બોર્ડ આ નુકસાનને ઓછું કરવાનો પ્રયાસ કરશે. પહેલેથી ખરીદવામાં આવેલી તમામ ટિકિટ 72 કલાકની અંદર રિફંડ કરવામાં આવશે.

નકવીએ ચાહકોની આ માટે માફી પણ માંગી. તેમણે એ પણ જણાવ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ તમામ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર છે અને ખેલાડીઓના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ફ્રેન્ચાઇઝી, સ્પોન્સર્સે પણ ટુર્નામેન્ટ યોજવાના નિર્ણયને સમર્થન આપ્યું છે.

IPL માટે PSL છોડનારા ખેલાડીઓ પર કાર્યવાહી કરશે- નકવી

મોહસિન નકવીએ IPL 2026 માટે છેલ્લી ઘડીએ પાકિસ્તાન સુપર લીગ (PSL) છોડનારા વિદેશી ખેલાડીઓ સામે કડક ચેતવણી આપી છે. દસુન શનાકા અને બ્લેસિંગ મુજારબાની જેવા ખેલાડીઓએ લીગ બદલ્યા પછી, નકવીએ સ્પષ્ટ કહ્યું કે 2-3 ખેલાડીઓ પર કાનૂની કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે.

26 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ થશે

PSLની 11મી સીઝન 26 માર્ચથી લાહોરમાં શરૂ થશે. પ્રથમ મેચ લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેન વચ્ચે રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં સ્થાનિક ખેલાડીઓ સાથે મોટી સંખ્યામાં વિદેશી ખેલાડીઓ ભાગ લેશે, જેમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

ઇસ્લામાબાદ અને લાહોરના 3-3 ટાઇટલ

પાકિસ્તાન સુપર લીગ (PSL)ના 2016થી 2025 સુધીના ઇતિહાસમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને લાહોર કલંદર્સ સૌથી સફળ ટીમો રહી છે. બંનેએ 3-3 વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. ઇસ્લામાબાદ યુનાઇટેડે 2016, 2018 અને 2024 માં ટ્રોફી જીતી, જ્યારે લાહોર કલંદર્સે 2022, 2023 અને 2025માં ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો.

આ ઉપરાંત, બાકીની ટીમોમાં મુલ્તાન સુલ્તાન્સ, ક્વેટા ગ્લેડીયેટર્સ, કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મીએ એક-એક વખત ખિતાબ જીત્યો છે. મુલ્તાને 2021માં, ક્વેટાએ 2019માં, કરાચીએ 2020માં અને પેશાવરે 2017માં ટ્રોફી પોતાના નામે કરી.


Related Posts

Load more